મુંબઈના પાયધુણી વિસ્તારમાં બિરયાની અને તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોનાં શંકાસ્પદ મોત થયા છે. પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલા પાયધુણી વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોનાં શંકાસ્પદ રીતે મોત નિપજ્યા છે. ફૂડ પોઇઝનિંગના કારણે આ મોત થયાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે પોલીસે ફોરેન્સિક રિપોર્ટને અંતિમ સત્ય ગણાવ્યું છે.
મૃતકોમાં અબ્દુલ્લા ડોકડિયા (40), તેમના પત્ની નસરીન ડોકડિયા (35), અને તેમની બે સગીર પુત્રીઓ આયશા (16) અને ઝૈનબ (13)નો સમાવેશ થાય છે. આ ઘટના 25 એપ્રિલની રાત્રે બની હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, 25 એપ્રિલની રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે પરિવારે સાથે બેસીને બિરયાનીનું ડિનર કર્યું હતું. જમવાનો કાર્યક્રમ પૂરો થતાં સંબંધીઓ પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં પરિવારના સભ્યોએ તરબૂચ ખાધું હતું. જોકે, 26 એપ્રિલની વહેલી સવારથી જ ચારેય સભ્યોની તબિયત ઝડપથી બગડવા લાગી હતી.
શરૂઆતમાં તેમને ઊલટી અને ઝાડાની ગંભીર ફરિયાદ થતાં સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવાયા હતા. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતા ચારેયને તાત્કાલિક મુંબઈની જે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સઘન સારવાર છતાં, સૌથી નાની પુત્રી ઝૈનબનું 26 એપ્રિલની સવારે 10:15 વાગ્યે મોત થયું, ત્યારબાદ રાત્રે પિતા અબ્દુલ્લાએ પણ જીવ ગુમાવ્યો. સારવાર દરમિયાન માતા નસરીન અને મોટી પુત્રી આયશાએ પણ દમ તોડી દીધો હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) પ્રવિણ મુંડેએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, "જે.જે. માર્ગ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રિપોર્ટ (ADR) નોંધી લેવામાં આવ્યો છે. શરૂઆતી તપાસમાં ફૂડ પોઇઝનિંગની શંકા પ્રબળ લાગે છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક એનાલિસિસ પછી જ સામે આવશે."
પોલીસની તપાસ ટીમે ઘટના સ્થળેથી બિરયાની અને તરબૂચના સેમ્પલ તેમજ મૃતકોના જૈવિક (બાયોલોજીકલ) નમૂના એકત્ર કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે, કોઈ મિકેનિકલ અથવા કેમિકલ લીકેજ જેવી અન્ય શક્યતાઓ પણ નકારી શકાય નહીં.